
ગાંધીનગરના સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી ચિત્રસેનભાઈ શાહ દ્વારા લિખિત હાસ્યલેખોના પુસ્તક ‘સ્મશાનમાં સ્વયંવર’ નો લોકાપર્ણ સમારોહ તા. 3 જી ડિસેમ્બરના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે ઑડિટોરિયમ સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, ચ-5, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ છે.
આ પ્રસંગે ગાંધીનગર સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ જહા સમારંભના પ્રમુખ તરીકેનું પદ શોભાવશે તેમજ અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્ય લેખક શ્રી રતિલાલ બોરીસાગર ઉપસ્થિત રહેશે.
આ પુસ્તકના પ્રકાશનની શુભેચ્છા પાઠવતા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ‘લોકોને વ્યસ્ત અને તનાવપૂર્ણ જિંદગીમાં હળવાશ માટે ધ્યાન અને લાફિંગ કલબ સારું માધ્યમ બની શકે છે, તો હાસ્ય કલાકારોની રમૂજી વાતો તથા હાસ્યરસ પીરસતા હાસ્યલેખો અને હાસ્ય-કટાક્ષપૂર્ણ પુસ્તકો પણ લોકોને હળવાશનો અહેસાસ કરાવે છે. અને આવા જ હાસ્ય-કટાક્ષ પ્રકારનું આ ‘સ્મશાનમાં સ્વયંવર’ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તે આનંદની વાત છે. આ પુસ્તક લોકોને તનાવમુકત કરવામાં ઉપયોગી થશે તેવી શ્રદ્ધા સાથે આપને શુભેચ્છા પાઠવું છું.’
આ અગાઉ આપણે રીડગુજરાતી પર પણ તેમાંનો લેખ માણ્યો હતો. http://rdgujarati.wordpress.com/2006/09/11/smashan-swayamvar/
શ્રી ચિત્રસેનભાઈ શાહને રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અમેરિકા, કેનેડા અને લંડનમાં ગુજરાતી સાહિત્યકારોનો વસવાટ વધતાં અને પરદેશમાં વસતા આપણા ગુજરાતીઓનો આપણી ભાષા અને આપણા સાહિત્યમાં રસ વધતાં ગુજરાતી સાહિત્યનાં સારાં એવા પુસ્તકો આજકાલ અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રકાશિત થવા લાગ્યાં છે અને એથી અંગ્રેજી વાચકોનો રસ પન એ ક્ષેત્રે વધી રહ્યો છે એ ગુજરાતી ભાષા માટે આનંદ અને ગૌરવ લેવા જેવી ઘટના છે. ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ અમેરિકામાં પ્રગટ થયા પછી આ પ્રવાહ ઝડપથી વિશેષ આગળ વધી રહ્યો છે.