રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

વિવિધ વાંચન શિબિરોનું થયેલું આયોજન

November 1, 2006 · Leave a Comment

ગત માસમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી ‘ગ્રામ ભારતી-અમરાપુર’ (જિ. ગાંધીનગર) ખાતે પાંચ દિવસના વાંચનશિબિરનું આયોજન થયું હતું. આ પ્રસંગે તજજ્ઞો દ્વારા વાંચન પર ભાર મૂકાતાં તેની આવશ્યકતા વિશે ચર્ચા થઈ હતી. સમગ્ર શિબિરનું જમાપાસું એ હતું કે શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી, ભારતીય અને વિશ્વની સાહિત્યની 120 જેટલી કૃતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આત્મન ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી જુદી જુદી ત્રણ સંસ્થાઓમાં વાંચન શિબિરો યોજાઈ હતી. જેનો ગાંધીનગરની વિવિધ કોલેજોના આશરે 400 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. શ્રી મહાવીર જૈન આરાધના ભવન, કોબા (જિ. ગાંધીનગર) ખાતે યોજાયેલી વાચનશિબિરનું ઉદ્દઘાટન અકાદમીના મહામાત્ર શ્રી વી.વી. પંડિતે અને માહિતી નિયામક – કવિ શ્રી ભાગ્યેશ જહાના હસ્તે થયું હતું. આ શિબિરમાં જાણીતા સર્જકો સર્વશ્રી ધ્રુવ ભટ્ટ, પ્રો. પ્રિયકાન્ત પરીખ, યશવંત કડીકર, રવીન્દ્ર ઠાકોર, હરિકૃષ્ણ પાઠક, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, લતા હિરાણી, સુરેશ પરીખ અને મુનિ દવેએ પ્રેરક વકતવ્યો આપ્યાં હતાં.

શ્રી અશ્વિનભાઈ કૉમર્સ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયેલી વાંચનશિબિરમાં શ્રી રમેશ તન્ના અને સુશ્રી પ્રજ્ઞા પટેલે વક્તવ્યો આપ્યાં હતાં. જ્યારે ગુજરાત શૈક્ષણિક તાલીમ ભવન ખાતે થયેલી વાંચનપર્વની ઉજવણીમાં સર્વશ્રી કૃષ્ણ દવે અને શ્રી રાજેન્દ્ર પટેલના વાર્તાલાપો યોજાયા હતા. ત્રણેય વાર્તાશિબિરોનું સંચાલન સુશ્રી પ્રજ્ઞા પટેલે સંભાળ્યું હતું.

Categories: News