મોટેભાગે એમ બનતું હોય છે કે વિદેશીભાષા તેમજ અનેક અન્યભાષાના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ થઈને ગુજરાતીમાં પ્રકાશન થતું હોય છે, પરંતુ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકો અનુવાદિત થઈ ને અન્ય ભાષામાં સુપ્રસિદ્ધ બને એવી ઘટનાઓ ખૂબ જ જૂજ બનતી હોય છે. ગુજરાતી સાહિત્ય ગૌરવ લે એવી જ એક ઘટના તાજેતરમાં બની છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી જયંતિ એમ. દલાલનું પુસ્તક ‘ORDEAL OF INNOCENCE’ જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. અર્પણ.એ.દેસાઈએ શ્રી દલાલની ગુજરાતી નવલકથા ‘આંખને સગપણ આંસુના’ પરથી કર્યું છે, જેને દેશ-વિદેશમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
‘સુકન્યા’ નામના પાત્રને લઈને લખાયેલી આ કાલ્પનિક કથા – માનવજીવનના વિવિધ રંગો, માનવસંબંધો, ભારતીય સંસ્કૃતિના વિવિધ પરિમાણોને આવરી લે છે. લગ્નજીવન, મિત્રતા, કૌટુંમ્બિક મૂલ્યો વગેરે પર શ્રી દલાલની આ વાર્તા ખૂબ જ વાસ્તવિક અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આ પુસ્તકને દેશ-વિદેશમાં સવર્ત્ર ખૂબ આવકાર સાંપડ્યો છે. આ પુસ્તક અંગે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જણાવે છે કે “એક ગુજરાતી લેખકનું પુસ્તક અંગ્રેજીમાં અને તે પણ અમેરિકા સ્થિત પ્રકાશન કંપની તરફથી છપાય તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. શ્રી દલાલ આ રીતે વધારે પુસ્તકોનો લાભ અંગ્રેજી વાચકોને આપે એવી શુભકામનાઓ”
આ પુસ્તકની વધારે વિગતો તેમજ તેને ખરીદવા માટે આપ www.ivyhousebooks.com અથવા www.amazon.com પર પણ મુલાકાત લઈ શકો છો.
ગુજરાતી વાર્તાઓ અને ભારતીય સંસ્કૃતિનો લાભ અન્ય ભાષાના વાચકોને પણ મળે એ હેતુથી આવું ઉત્તમ કાર્ય કરતા લેખક શ્રી જયંતિભાઈ દલાલને રીડગુજરાતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.